Skip to main content

કરિયાવર



POINT OF THE TALK...(10)

"કરિયાવર..."

"કેમ ગણે તું મને કોઈ, નક્કામી વસ્તુ સમાન.
 શું ખબર તને ઘવાય છે, કેટલું મારું સ્વમાન.
 કિંમત મારી તને થશે, જીવનમાં ત્યારેજ,
 કે જ્યારે સાથ છોડી જશે,મારા તનથી મારા પ્રાણ..."
                            - અલ્કેશ ચાવડા 'અનુરાગ'

ખાધેપીધે સુખી ગણી શકાય એવો એક પરિવાર હતો. એ પરિવારના મુખ્ય માણસ અને એકવીસ વર્ષની યુવાન દીકરીના પિતાની ગામમાં કરિયાણાની દુકાન હતી. દુકાન માંથી મહિને ત્રીસ પાંત્રીસ હજાર જેટલો નફો મળી રહેતો. પરિવારમાં એ ભાઈ પોતે એમની પત્ની યુવાન દીકરી અને એ ભાઈના પિતાશ્રી એમ કુલ મળી ચાર વ્યક્તિઓજ હતા. ચાર રૂમ વાળું મેડા બંધ મકાન પણ ખૂબ સારજ સ્થિતિમાં હતું...

જેમ સૌને મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે એમ એ યુવાન દીકરીના દાદાને એની પૌત્રી ખૂબ વ્હાલી હતી અને એ યુવતી પણ એના દાદા પ્રત્યે અપાર સ્નેહ દર્શાવતી હતી. પરંતુ એના પિતાનો સ્વભાવ જરા તેજ હોવાથી એમની હાજરીમાં બિચારી દીકરી એના દાદા સાથે વાત પણ કરી શકતી ન હતી. વૃદ્ધત્વને કારણે નિસ્તેજ બની ગયેલા ઘરના વડીલ એવા એ વૃદ્ધ દાદાની સ્થિતિ એ પરિવારમાં ખૂબ દયામણી હતી. એમને કશુંજ પૂછવામાં ન આવતું કે જણાવવામાં પણ ન આવતું. ઘરના ખૂણામાં આવેલ નાનકડા રૂમની બહાર નીકળવાની પણ પરવાનગી ન હતી. બે ટાઈમ જમવાની થાળી એમની રૂમમાં હડસેલી મુકવામાં આવતી. જમ્યા પછી થાળી પણ એમને જાતેજ ધોવી પડતી. એ વૃદ્ધ ક્યારેક ક્યારેક પોતાની શારીરિક તકલીફની વાત એના દીકરાને કરે તો પણ એને ધ્યાનમાં લેવામાં ન આવતી. જાણે કોઈ નક્કામી વસ્તુ ઘરના સ્ટોરરૂમમાં મૂકી દેવામાં આવી હોય એવી સ્થિતિ એ વૃદ્ધની હતી...

એ દંપતીની દીકરી યુવાન થઈ ગઈ હોવાથી બંને માણસે એના લગ્ન કરવાનું વિચાર્યું. સારા મુરતિયાની શોધ થઈ અને શહેરમાં એક સારા ઘરમાં એની સગાઈ કરવામાં આવી. સગાઈ બાદ એક મહિના પછીનું લગ્નનું મુરત પણ કાઢવામાં આવ્યું. દીકરીના લગ્નનો આવડો મોટો નિર્ણય બેઉ માણસે લઈ લીધો પણ એ ભાઈએ પરિવારના વડીલ એવા એના વૃદ્ધ પિતાને એકવાર પણ એની જાણ સુદ્ધાં ન કરી. એ વાતથી એ વૃદ્ધ પિતાને મનોમન ખૂબ લાગી આવ્યું કે કેટલા લાડકોડથી મેં મારા આ દીકરાને ઉછેર્યો ,મોટો કર્યો, કાબેલ બનાવ્યો. ફાટેલા કપડાં મેં પહેર્યા અને એને નવા કપડાં પહેરાવ્યા. પેટે પાટા બાંધીને પણ એના તમામ શોખ પુરા કર્યા. આજે એ મને ઘરમાં કોઈ જુના સામાનથી વિશેષ કઈ સમજતો નથી... પોતાની નાનકડી રૂમમાં પોતાની મૃત પત્નીના ફોટા સામે ભીંજાયેલી આંખો લૂંછતા લૂંછતા એ વૃદ્ધે સુવાનો પ્રયત્ન કર્યો... પણ એમની આંખમાં ઊંઘ ન હતી...

એ ભાઈએ પોતાની દીકરીને ધામધૂમથી લગ્ન કર્યા. લગ્નમાં હજારો મહેમાનો આમંત્રિત હતા પણ એણે પોતાના પિતાને એક વાર પણ લગ્નની ચોરીમાં આવવા કહ્યું ન હતું. એક તરફ દીકરીના લગ્નની શરણાઈના શૂર ગુંજી રહ્યા હતા તો બીજી તરફ પોતાની ઓરડી જેવી રૂમમાં એ વૃદ્ધના હૃદયમાં દુઃખનો સન્નાટો છવાયેલો હતો... એમના વ્યથિત હૃદયમાંથી શોકનું બેસુંરું સંગીત ડુસકા સ્વરૂપે રૂમની ચાર દિવાલોમાંજ સમાઈ જતું હતું. એ વૃદ્ધ ને ઘણા અરમાનો હતા કે વિદાય લઈ રહેલી પોતાની પૌત્રીને ખૂબ વ્હાલથી પોતાની બાથમાં ભીડી લે, એનો કરિયાવર પોતાના હાથે કરે. પણ પોતાની આ ઈચ્છા એ વ્યક્ત પણ કોની સામે કરે...!!! રૂમની બારીમાંથી એ વૃદ્ધ, વિદાય લઈ રહેલી પૌત્રીને સજ્જડ નયને જોઈ રહ્યા હતા તો એ દીકરીની આંખો પણ લોકોની ભીડમાં પોતાના દાદાજીને શોધી રહી હતી અને એની નજર રૂમની બારી તરફ ગઈ. પોતાના બંને હાથથી દાદાજીએ પૌત્રીને અંતરમાંથી નિઃશબ્દ આશિષ પાઠવ્યા અને દીકરી વિદાય થઈ...

સાસરે ગયેલી દીકરી એક મહિના બાદ હાથમાં ડોક્ટરની ફાઇલ લઈ પિયર આવી. પોતાના પિતાને ખૂબ દુઃખી સ્વરે એણે આખી વાત જણાવી કે..."પપ્પા, મારા પતિની બન્ને કિડની ફેઈલ છે. જો બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ એમને કરવામાં નહિ આવે તો..."  અને દીકરીના આગળના શબ્દો એના રુદનમાજ સમાઈ ગયા. એ પિતા માટે આ સમાચાર ખુબજ આઘાતજનક હતા. હવે શું કરવું ? એ વિચારે એ ખૂબ વ્યથિત હતા. આ આખો વાર્તાલાપ પોતાના રૂમમાં રહેલા એ વૃદ્ધે સાંભળી લીધો. અને મનોમન એક શુભ સંકલ્પ કરી સવાર પડવાની રાહ જોતા પોતાની પથારીમાં પડ્યા.

ફાઇલ માંથી હોસ્પિટલનું સરનામું લઈ વહેલી સવારે કોઈને ખબર ન પડે એમ ચૂપચાપ એ વૃદ્ધ પહોંચી ગયા હોસ્પિટલ. ડોક્ટરને પોતાનો પરિચય આપ્યો અને આખી વાત જણાવી. સંમતિપત્રક પર સહી કરી કે રાજી ખુશીથી હું મારી કિડની મારા જમાઈને દાનમાં આપું છું. ડોક્ટરે એ વૃદ્ધને ખૂબ સમજાવ્યા કે આમ મોટી ઉંમરે એક કિડની કાઢી લેવામાં આવશે તો તમને તકલીફ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે. વૃદ્ધ મનોમન બોલ્યા કે... "સાહેબ , આમ પણ મારે જીવવામાં ખૂબ તકલીફ છે જ..."   છતાં વૃદ્ધ પોતાની કિડની દાન ની વાત પર અડગ રહ્યા. એ વૃદ્ધે આ આખી વાત ગુપ્ત રાખવા પણ ડોક્ટરને જણાવ્યું. ડોકટર દ્વારા તરત એ વૃદ્ધના જમાઈ ના ઘેર ફોન જોડવામાં આવ્યો અને કિડની ની વ્યવસ્થા થઈ ગયા ના શુભ સમાચાર આપવામાં આવ્યા. અને કાલે જ ઓપરેશન માટે હોસ્પિટલ આવી જવા જણાવવામાં આવ્યું. બીજા દિવસે સવારમાં જ જમાઇના શરીરમાં એના ઘરડા સસરાની કિડની ટ્રાન્સપ્લાન્ટ નું સફળ ઓપરેશન થઈ ગયું.

ડોક્ટરે પેલા વૃદ્ધ ને જણાવ્યું હતું એ મુજબજ થયું. એમના શરીરમાંથી એક કિડની કાઢી લેવાતા અને મોટી ઉંમરના કારણે એ વૃદ્ધને પેટમાં સખત બ્લડિંગ શરૂ થઈ ગયું. પોતાની અંતિમ ઘડી નજીક જ હતી છતાં ખૂબ હિંમત એકઠી કરી એ વૃદ્ધે ઇશારાથી નર્ષ પાસે પેન અને કાગળ માંગ્યું અને એની પર ધ્રુજતા હાથે ભાંગ્યા તૂટ્યા અક્ષરે કશુંક લખી એ કાગળ પોતાની પૌત્રીને આપી દેવા જણાવ્યું. અને બીજીજ ક્ષણે એ વૃદ્ધ ચીરનિંદ્રામાં સદાને માટે પોઢી ગયા.

પોતાના દાદાએ લખેલો કાગળ એ યુવતીના હાથમાં આવ્યો એને ખોલ્યો તો અંદર જાણે ધ્રુજતા શબ્દોમાં લખાયેલું હતું કે...
"દીકરી, તારા લગ્નમાં તો હું તને કશુંજ કરિયાવર કરી ન શક્યો પણ આજે મારી કિડની તારા સુહાગને અર્પણ કરું છું. એને જ તારા દાદા તરફથી કરિયાવર ગણી લે જે... સુખી થજે દીકરી..."
આ વાતની જાણ એ વૃદ્ધ ના દીકરાને પણ થઈ અને એના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો...

● POINT:-
જીવનમાં ઘણી વખત આવુજ બને છે કે કોઈ નિર્જીવ વસ્તુની જેમ આપણે વ્યક્તિને પણ નકામી ગણી સાઈડમાં કરી દઈએ છીએ. પણ એજ વ્યક્તિ સમય આવ્યે "જીવનદાતા"  બની પોતાની જિંદગી પણ દાવ પર લગાવી દે છે...

લેખક:- અલ્કેશ ચાવડા 'અનુરાગ'  (શંખેશ્વર)
           

Comments

  1. ખૂબ સુંદર હૃદયદ્રાવક વાર્તા...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

@ What an idea... મુંબઈમાં રહેતો અને 8માં ધોરણમાં અભ્યાસ કરતો તિલક મહેતા એકવાર એના મામાના ઘરે ગયેલો. મામાના ઘરેથી પાછો આવ્યો પણ સાથે લઈ ગયો હતો એ અભ્યાસના કેટલાક પુસ્તક મામાના ઘરે જ ભૂલીને આવ્યો. બીજા દિવસે મામાને ફોન કર્યો કે મારા ભૂલાઈ ગયેલા પુસ્તક મને આજે ને આજે કુરિયર દ્વારા મળી શકે ? મામાએ જવાબ આપ્યો કે બેટા કદાચ આજ ને આજ તો ન મળે આવતીકાલે મળે અને કુરિયરનો ખર્ચ તારા પુસ્તકોની કિંમત કરતા પણ વધી જાય. આ વાત સાંભળ્યા બાદ તિલકનું મન ચકરાવે ચડ્યું. સામાન્ય માણસને પોસાય એવા દરથી એ જ દિવસે કુરિયર ના પહોંચાડી શકાય ? એ દિશામાં એ વિચારવા લાગ્યો અને એને મુંબઈના ડબ્બાવાલા યાદ આવ્યાં. રોજ 2 લાખથી વધુ લોકોને ડબ્બા પહોંચાડવાનું કામ કરતા ડબ્બાવાલા ભાઈઓની સેવાનો લાભ લેવામાં આવે તો ઓછા ખર્ચે પણ એ જ દિવસે લોકોને કુરિયર પહોંચાડી શકાય. તિલકએ બધી ગણતરીઓ કરી અને 13 વર્ષની ઉંમરના છોકરાને કુરિયર સેવાનો એક મોટો બિઝનેશ દેખાયો. તિલક મુંબઇ ડબ્બાવાલા એસોશિયેશનના પ્રમુખ શ્રી સુભાષ તાલેકરને મળ્યો અને પોતાની વાત જણાવી. સુભાષ તાલેકરને પણ લાગ્યું કે તિલકની સાથે જોડાવાથી ડબ્બાવાલા ભાઈઓને થોડી વધુ કમાણી થશે...

ભગવાન તો બધું જોઇજ રહ્યો છે !!!

"ભગવાન તો બધું જોઈ જ રહ્યો છે..." "યાદ રાખો આ વાતને , સત્ય સનાતન જ્ઞાન.  જેવા જેના કર્મ હો , ફળ આપે ભગવાન.  માનવ છીએ તો જીવનને, જીવો માનવ બની,  શ્રાપ બની જશે નહિતર, માનવ જન્મ વરદાન..."                                 - અલ્કેશ ચાવડા 'અનુરાગ' હજી એકાદ માસ પહેલાજ એક ગમખ્વાર અકસ્માતમાં પોતાના યુવાન પુત્ર, પુત્રવધુ , પોતાની પત્ની અને નાનકડા પૌત્રની લાશને કાંધ આપી ચૂકેલા જીવતરની જંગ કુદરતના એક ફટકાથી હારી ચૂકેલા અને હવે જીવનને સાવ નીરસ અને અર્થહીન માની ચૂકેલા વિખ્યાત દવા કંપનીના માલિક આજે પોતાની હવેલી જેવડા મોટા આલીશાન ઘરની આગાશી પર એકલા અટૂલા જાણે જીવનનેજ નહિ પરંતુ પોતાના ચાલી રહેલા શ્વાસ નો પણ બોજ સહન કરી શકવાની ક્ષમતા ધરાવતા ન હતા. હજી મહિના પહેલા પૌત્રની બાળહઠ અને એની કિલકારીથી ગુંજી ઉઠતું એમનું આલીશાન ઘર આજે જાણે સ્મશાન જેવું ભેંકાર ભાષતું હતું. પોતાના યુવાન પુત્રના કંપની ચલાવવાના થનગનાટ અને તરવરાટ થી કરોડો રૂપિયાનો નફો રળતી એમની કંપની જાણે અનાથ થઈ ચૂકી હતી. પોતાની પુત્રવધૂના પ્યારથ...