Skip to main content

મોટી વહુ...


POINT OF THE TALK...(44)

"મોટી વહું..."

"પરીવાર રૂપી માળા ને, સાચવું ધાગો બની.
 સાસરામાં બધી લાગણીઓ, નમી વહુઆરુ બની..."
                                  - અલ્કેશ ચાવડા 'અનુરાગ'

નાનપણમાં એનું સગપણ થઈ ગયેલું હોવાથી એ પરણીને આવી એ ઘરમાં કે જેની આજની પરિસ્થિતિ ખૂબ કંગાળ અને દયામણી હતી. પોતાના પિતાજીએ એનું સગપણ જ્યારે એ ઘરમાં કર્યું હતું ત્યારે એના સાસરા પક્ષનું ઘર આખા ગામજ નહિ આજુબાજુના પાંચ ગામોમાં પૂછાતું હતું. એના મોટા સસરાનો એવોતો વટ હતો કે આજુબાજુના ગામમાં કોઈનો પણ ડખો હોય એટલે પંચાત કરવામાં એ મુખ્ય ભૂમિકા ભજવતા અને ગમે એવડો મોટો ઝગડો પણ એ પતાવી દેતા. એના સસરા પક્ષમાં કોઈ મોટી જાગીરદારી ન હતી પણ પેઢીઓથી એ કુટુંબની સચ્ચાઈ અને નિટીમત્તાના કારણે સમાજ અને ગામમાં એમની ખૂબ મોટી પ્રતિષ્ઠા હતી.

પણ કહેવાય છે ને કે જિંદગી કદી એકધારી નથી ચાલતી. તો ક્રમ મુજબ એ કુટુંબનો સમય પણ બદલાયો. એ વહું ના મોટા સસરાનું મૃત્યુ થતા એમના પછી એમની પેઢીમાં એવું ખમીર ન આવ્યું અને સમય સાથે એ કુટુંબની પ્રતિષ્ઠામાં ઓટ આવતી ગઈ. આ બધું જાણવા અને જોવા છતાં પોતાના પિતાનું વચન રાખવા પિયરમાં રાજકુમારીની જેમ લાડે કોડે ઉછરેલી મોટા ઘરની એ દીકરી વહુઆરુ બની એના સાસરે આવી. જ્યારે એ સાસરે આવજ ત્યારે એના સાસરે પરિવારની આબરૂ અને આર્થિક તાણ ખૂબ હતી. છતાં એ બધું ભૂલી માત્ર એક વચનને ખાતર "જેવા એના નસીબ" એવું વિચારી એ સાસરે આવીજ ગઈ.

પરણીને આવી કે તરત એને ખ્યાલ આવી ગયો કે પિતાના ઘેર સીમનો સેઢો પણ એને ભલે ન જોયો હોય પણ અહીં તો એને ઘરના કામની સાથે એના પતિના જોડેજ ખેતરનું કામ પણ આટોપવું પડશે. પણ તેમ છતાં મનમાં સહેજ પણ કચવાટ રાખ્યા વિના એને એ કામ પણ પોતાના પતિની સાથે સાથે કરવા માંડ્યું. દિવસ ઉગ્યે ખેતરે સીરામણ લઈ પહોંચી જવાનું હોવાથી એ ખૂબ વહેલી ઉઠી જાય. ઘરનું મોટા ભાગનું કામ તો અંધારા માજ પતાવી દે. પોતાના સાસુ સસરા માટે બપોરનું ખાવાનું બનાવવું. એમના માટે ચા પાણી બનાવી આપવા. બધાના કપડાં ધોઈ નાખવા. વગેરે તમામ કામ હસતા મોઢે એ દિવસ ઉગ્યામાતો આટોપી લઈ સીરામણ લઈ ને પહોંચી જાય ખેતરે. પિયરમાં તડકો નીકળે ત્યારે ઉઠતી એ લાડકવાયી દીકરી વહુ બનીને સાસરે આવી અને સાસરના ઘર સાથે એને પોતાની જાતનો તાલમેલ સુપેરે બેસાડી દીધો.

સમય જતાં એના દિયરના લગ્ન થયા ઘરમાં એની દેરાણી આવી. સાસુ સસરાને લાગતું હતું કે ઘરમાં બે વહુઓ ભેગી થઈ છે તો હવે ઘરમાં વાદ વિવાદ ચાલુ થઈ જશે. પરિવારની શાંતિ હવે ડોળાઈ જશે. પણ એ મોટી વહુ એ પોતાની સમજદારી અને મોટા મન સાથે એની દેરાણીને ખૂબ પ્રેમ આપ્યો. નાની બહેન બનાવીને રાખી. છતાં એની દેરાણી એની ઈર્ષા કરતી. ઘરમાં એની જેઠાણીનું માન પાન એનાથી સહન ન થતું અને થોડાજ સમયમાં પોતાના પતિ સાથે અલગ રહેવાની એને જીદ માંડી. એના પતિ સાથે આખા કુટુંબે એની જીદ સામે ઝુકવું પડ્યું અને બે ભાઈઓના મિલકત ના ભાગ પડ્યા. ત્યારે એ ઘરની સમજદાર અને સુશીલ મોટી વહુ તરત બોલી...
"મારી દેરાણી ને જે જોઈતું હોય એ આપી દો. પણ બા બાપુજી ને હું એને કદાપિ નહિ આપું. એ બંને અમારી સાથે જ રહેશે..."
નાની વહુ તો આ ઇચ્છતી જ હતી. આમ બાપની મિલકતનો સારો ભાગ લઈ એના દિયર અને દેરાણી અલગ રહેવા ચાલ્યા ગયા. આ બાજુ કોઈ ફરિયાદ વિના કે દેરાણી પ્રત્યે સહેજ પણ કડવાશ લાવ્યા વિના પોતાના ભાગમાં જે આવ્યું એમાજ રાજી થઈ ફરી એજ ક્રમ મુજબ એ મોટી વહુ પરિવારની સેવામાં સમર્પિત થઈ ગઈ.

કોઈ કોઈ વાર એની સાસુ એને કહેતા...
"વહુ બેટા, તું કઈ માટીની બનેલી છે કે ભાઈઓના ભાગમાં તે કોઈ ચીજની માંગણી ન કરી. તારા પિયરમાં ખૂબ લાડમાં ઉછરેલી બેટા અહીં આવી તું તનતોડ મહેનત કરે છે. મને તો લાગે છે કે ગયા ભવમાં ચોક્કસ તું મારી દીકરી હોઈશ..."
ત્યારે જવાબમાં મોં પર આછેરા સ્મિત સાથે સાસુની નજીક જઈ એક દીકરી મા ને જેમ વ્હાલ કરે એમ વ્હાલ કરી કહેતી...
"મા, ગયા ભવની વાત છોડો હું તો આ ભાવમાં પણ તમારી દિકરી જ છું. હું નસીબદાર છું કે મને તમારી સેવા કરવાનો મોકો મળ્યો છે..."
અને એ સાસુ આંખમાં હર્ષનાં આંસુ સાથે દીકરી જેવી પોતાની મોટી વહુને ચૂમી લેતી...

એ સમજદાર મોટી વહુ પોતાના પરિવારના સભ્ય એના સાસુ સસરાની તો સેવા કરતી જ પણ એના ફોઈજી પ્રત્યે એનું સમર્પણ અને દયા તેમજ સેવા ભાવના જોઈ ખરેખર એ મોટી વહુને કોટી કોટી વંદન કરવાનું મન થઇ આવે.

એના ફોઈજી એટલે કે એની સાસુના નણંદ કે જે નિઃસંતાન હતા. એમના સાસરે માત્ર એના ફોઈજી અને ફુવાજી બે જ જણ. હવે સાહિઠેક વર્ષની પાકટ વયે એના ફોઈજી રાડ્યાં અને પતિ તેમજ સંતાન વિહોણા બની ગયા નિરાધાર. ઘરમાં એમના વિશે વાતો થતી હતી ત્યારે હળવેકથી એ મોટી વહુએ એના પતિને કહ્યું...
"સાંભળો છો, તમે કહેતા હો તો આપણે એક કામ કરીએ. બિચારા ફોઈબા ને આ ઉંમરે ઘરમાં એકલું લાગશે. એકલવાયું જીવન વિતાવવું એમના માટે ખૂબ કઠિન થઈ પડશે. આપણે ફોઇબા ને આપણા ઘરે જ લઈ આવીએ અને આપણી સાથે જ રાખીએ. અહીં મા સાથે એ પણ રાજી ખુશીથી રહેશે અને પ્રભુ ભજન કરશે..."
પોતાની પત્ની ની આવડી મોટી સમજદારી ભરી વાત સાંભળી એના પતિને પણ એના પર ખૂબ માન થઈ આવ્યું. પત્નિ નો નિર્ણય એ ભાઈએ પોતાના મા બાપને કહી સંભળાવ્યો. ત્યારે એના સાસુએ કહ્યું...
"પણ વહું બેટા, તું કેટલુંક કામ કરીશ? કેટકેટલાની સેવા કરીશ?"
ત્યારે એ મોટી વહુ એ કહ્યું...
"મા, જો આપણે સંબંધી થઈ અને ફોઇબા ને એમ એકલા રઝળતા મૂકી દઈએ તો પછી સંબંધી શેના !!! માત્ર સંબંધ જ નહીં પણ માનવતાને ખાતર પણ આપણે ફોઇબા નો સહારો બનવું પડે..."
મોટી વહુની વાત સાંભળી એના સસરા પણ બોલી ઉઠ્યા...
"ધન્ય છે વહુ બેટા, તમારી સમજદારીને અને તમારા બાપ ના ઘરના સંસ્કારને..."
અને મોટી વહુના કહેવાથી એના ફોઈજી ને એમના ઘેર લાવવામાં આવ્યા. મોટી વહુ સાસુ સસરાની સાથે એમની પણ એટલી જ તન્મયતાથી સેવા કરવા લાગી.

એ કુટુંબમાં આર્થિક તંગી હતી પણ હૃદયમાં એકમેક પ્રત્યે સ્નેહ અને પ્રેમની તંગી ન હતી અને એ પણ માત્રને માત્ર મોટી વહુની સમજદારીને કારણે , મોટી વહુની ત્યાગ અને સમર્પણ તેમજ પરિવાર ભક્તિ ને કારણે...

● POINT :-
આજે ટૂંકા સ્વાર્થ અને સ્નેહના અભાવે પરિવારો તૂટતા જાય છે. સગા મા બાપ ને પોતાની સાથે રાખવા સંતાનો સંમત નથી થતા ત્યારે પારકા ઘરેથી આવેલી આવી સમજદાર વહુઆરુ પણ હોય છે જે પરિવાર રૂપી માળા ને જોડી રાખવા ધાગાનું કામ કરે છે...
કોટી કોટી વંદન છે એ મોટી વહુને...

લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)

Comments

Post a Comment

Popular posts from this blog

@ What an idea... મુંબઈમાં રહેતો અને 8માં ધોરણમાં અભ્યાસ કરતો તિલક મહેતા એકવાર એના મામાના ઘરે ગયેલો. મામાના ઘરેથી પાછો આવ્યો પણ સાથે લઈ ગયો હતો એ અભ્યાસના કેટલાક પુસ્તક મામાના ઘરે જ ભૂલીને આવ્યો. બીજા દિવસે મામાને ફોન કર્યો કે મારા ભૂલાઈ ગયેલા પુસ્તક મને આજે ને આજે કુરિયર દ્વારા મળી શકે ? મામાએ જવાબ આપ્યો કે બેટા કદાચ આજ ને આજ તો ન મળે આવતીકાલે મળે અને કુરિયરનો ખર્ચ તારા પુસ્તકોની કિંમત કરતા પણ વધી જાય. આ વાત સાંભળ્યા બાદ તિલકનું મન ચકરાવે ચડ્યું. સામાન્ય માણસને પોસાય એવા દરથી એ જ દિવસે કુરિયર ના પહોંચાડી શકાય ? એ દિશામાં એ વિચારવા લાગ્યો અને એને મુંબઈના ડબ્બાવાલા યાદ આવ્યાં. રોજ 2 લાખથી વધુ લોકોને ડબ્બા પહોંચાડવાનું કામ કરતા ડબ્બાવાલા ભાઈઓની સેવાનો લાભ લેવામાં આવે તો ઓછા ખર્ચે પણ એ જ દિવસે લોકોને કુરિયર પહોંચાડી શકાય. તિલકએ બધી ગણતરીઓ કરી અને 13 વર્ષની ઉંમરના છોકરાને કુરિયર સેવાનો એક મોટો બિઝનેશ દેખાયો. તિલક મુંબઇ ડબ્બાવાલા એસોશિયેશનના પ્રમુખ શ્રી સુભાષ તાલેકરને મળ્યો અને પોતાની વાત જણાવી. સુભાષ તાલેકરને પણ લાગ્યું કે તિલકની સાથે જોડાવાથી ડબ્બાવાલા ભાઈઓને થોડી વધુ કમાણી થશે

પસ્તાવો... વાર્તા

@@@   પસ્તાવો...  (વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા માણસો ઈચ્છે છે કે એમના સંતાન એમને વૃદ્ધાવસ્થામાં સાચવે... પણ સંતાન જેવું જુવે એવુંજ સમજે અને શીખે છે...) અમદાવાદની મધ્યે આવેલું વિશ્રામ વૃદ્ધાશ્રમ. એ વૃદ્ધાશ્રમ ની રમ નંબર ૨૧ ની બારી પાસે બેઠેલા બે વૃદ્ધો. ઉંમરના કારણે થઈ ગયેલા વૃદ્ધો નહિ પણ પરિસ્થિતિ ના કારણે દેખાતા વૃદ્ધો. એ બારી પાસે બેઠેલા બળવંતભાઈ અને એમના પત્ની ગોમતીબેન. એમનો એકનો એક દીકરો અનિલ પોતાના માં બાપને આ ઘરડાઘરમાં આજથી લગભગ પંદર દિવસ પહેલા મૂકી ગયો હતો. બળવંતભાઈને હજી યાદ છે પંદર દિવસ પહેલાનો એ દિવસ જ્યારે એમનો દીકરો અને વહું બંનેને ઘરડાઘરમાં મૂકી ઘેર ચાલતો થયો ત્યારે બોલ્યો હતો કે..."પપ્પા, હું તમને અહીં મૂકીને જાઉં છું એમાં કશું નવું કરતો નથી... આ બાબત તો હું તમારી પાસેથીજ શીખ્યો છું. હું નાનો હતો ત્યારથી તમે અને મમ્મી દાદાજીને વૃદ્ધાશ્રમમાં મુકવાની વાત કરતા હતા અને એક દિવસ સાચેજ આજ વૃદ્ધાશ્રમમાં એમને મૂકી ગયા હતા. હું તો તમારીજ પરંપરા આગળ વધારી રહ્યો છું..." એ દિવસે દીકરા દ્વારા બોલાયેલા આ શબ્દો બળવંતભાઈ અને ગોમતીબેન બંનેને આજ દિન સુધી સ